સીએનજી કાર અને રિક્ષા ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવ વધાર્યા છે. સીએનજી ના ભાવ વધતા રિક્ષા ભાડું પણ વધશે. તો સીએનજી કાર ચાલકો માટે વાહન ચલાવવું મોંઘુ પડશે. નોંધનિય છે કે, ઈઝરાયલ ઈરાન યુદ્ધ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધી છે ત્યારે સીએનજી પણ મોંઘી થતા કાર ચાલકોને બેવડો માર પડી રહ્યો છે.
અદાણી CNG કિંમત વધી
અમદાવાદમાં ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં 1.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ અમદાવાદમાં સીએનજીની નવી કિંમત 83.77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે જે લોકો પહેલાથી જ મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે તેઓ રોજિંદા ખર્ચને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઓટો રિક્ષા, ટેક્સીઓ અને ખાનગી વાહનોમાં સીએનજીનો ઉપયોગ થાય છે. આનો અર્થ એ થયો કે સામાન્ય લોકો માટે દરરોજ અવર જવર કરવી હવો મોંઘી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દેશભરમાં ઈઝરાયલ ઇરાન યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર કોમર્શિયલ એલપીજીના ભાવ પર પડી હતી. 1 એપ્રિલ, 2026ના રોજ સરકારી ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 195.50 રૂપિયાનો વધારો કર્યો હતો.





