આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આરોગ્યલક્ષી સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લામાં 700થી વધુ આરોગ્ય ટીમો દ્વારા ગામેગામ સર્વેલન્સ, આરોગ્ય તપાસ, ફોગિંગ અને જનજાગૃતિની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરરોજ એક લાખથી વધુ લોકોનું આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.ખાસ કરીને ખંભાત તાલુકાના વડગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગુંડેલ સબ સેન્ટર અને નવી આખોલ ગામ સહિતના વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વરસાદી પાણીના નિકાલ બાદ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ લોકોના સ્વાસ્થ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે.
મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ ઝાડા-ઉલટી જેવા રોગો પર નિયંત્રણ મેળવવા માટે સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં ડાયફલુબેન્ઝુરોન ઇન્સેક્ટિસાઇડનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશન, ક્લોરિન ટેસ્ટ, દવાનો છંટકાવ તેમજ ક્લોરિન ટેબલેટ અને બ્લીચિંગ પાવડરનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવા અને મચ્છરજન્ય રોગોથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. **”સ્વચ્છતા જાળવીએ, મચ્છરજન્ય રોગોથી બચીએ અને સ્વસ્થ ગામ બનાવીએ”**ના સંદેશ સાથે લોકોને તબિયત બગડે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.





