અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીના મોત મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે, છતાં મોત પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરિવારનો આરોપ છે કે, તેમના વિસ્તારમાં આઇઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ ખરીદ્યું હતું. જોકે, હજુ સુધી પૂરવાર થયું નથી કે ખરેખર મોત પાછળનું કારણ ખીરું હતું કે બીજું જ કંઇક છે? આ શંકાકુશંકા વચ્ચે ડેરી માલિકની સ્થિતિ શું છે અને તેના ધંધા પર શું અસર પડી છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ઘટના આશરે 10-11 દિવસ પહેલા પ્રકાશમાં આવી હતી, ત્યારે ઘનશ્યાન ડેરીમાં માત્ર ખીરાનું વેચાણ જ સો-સવા સો કીલોગ્રામથી વધુ હતું. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, આ ડેરી ખીરા માટે સમગ્ર વિસ્તારમાં કેટલી જાણીતી હશે. પરંતુ હાલ ડેરી માલિકે ખીરાનું વેચાણ બંધ કર્યું છે.
વિપુલ પટેલે જણાવ્યું કે, “આ ઘટનાની અસર મારા ધંધાની સાથે માનસ પર પણ પડી છે. હું માનસિક રીતે ભાંગી પડ્યો છે. આટલું જ નહીં, રોજનું સો-સવા સો કિલો જેટલું ખીરાનું વેચાણ થતું હતું. પરંતુ આ ચર્ચાસ્પદ ઘટનાને કારણે હાલ તો ખીરાનું વેચાણ સાવ બંધ જ કરી દીધું છે. જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી તો વેચાણ બંધ જ કર્યું છે. આટલું જ નહીં, તમામ ડેરી પ્રોડક્ટ વેચવાનું બંધ કરી દીધું છે. માત્ર બેકરી પ્રોડક્ટનું જ વેચાણ ચાલુ રાખ્યું છે.”
નોંધનીય છે કે, આ ઘટના સામે આવતાં પોલીસને ટીમ દ્વારા ડેરીમાં તપાસ કરવામાં આવી હતી. સાથે જ ડેરીમાંથી એફએસએલ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. પરંતુ ડેરી માલિકે દાવો કર્યો હતો કે કોઇપણ ગ્રાહકની ફરિયાદ આવી નથી. પોલીસે પણ આ ડેરીમાંથી ખીરું ખરીદનારા અન્ય ગ્રાહકોની પૂછપરછ કરી હતી.





