મહેમદાબાદ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે મહેમદાબાદના સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.યુવાનોના વિચારો, સમસ્યાઓ અને સંભાવનાઓને સમજવા તેમજ સંવાદના માધ્યમથી તેમને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન યુવાઓ સાથે સીધો અને મુક્ત સંવાદ યોજાયો હતો. યુવાનોએ અભ્યાસ, કારકિર્દી અને ભવિષ્યને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. વક્તાઓ દ્વારા યુવાઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યુવાઓને કારકિર્દી નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ, વાંચનનું મહત્વ અને સકારાત્મક અભિગમ સહિત સફળતા માટે જરૂરી વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાતના જાણીતા લેખકો અને કવિઓનો પરિચય કરાવી ગુજરાતી સાહિત્યના મહત્વ અંગે પણ સમજ આપવામાં આવી હતી.
યુવાનોને સમયનો સદુપયોગ કરવા તેમજ સતત વાંચનની ટેવ કેળવી પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના વકીલ સંતોષભાઈ દુબે, મોદજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, ગુતાલના શિક્ષક પારસ દવે, પુસ્તકાલયના અધિકારીઓ-કર્મચારીઓ, આમંત્રિત મહાનુભાવો તેમજ પુસ્તકાલયમાં આવતા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
‘યુવા સંવાદ’ કાર્યક્રમ થકી યુવાઓને પોતાના પ્રશ્નો રજૂ કરવા અને અનુભવી વ્યક્તિઓ પાસેથી માર્ગદર્શન મેળવવાની તક મળી હતી. કાર્યક્રમને યુવાઓ માટે કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસની દિશામાં ઉપયોગી પહેલ તરીકે આવકારવામાં આવ્યો હતો.





