જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો હતો.સોશિયલ મીડિયા યુઝર્સે ગાઉનમાં કેસરી, સફેદ અને લીલા રંગોના ઉપયોગને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
કેટલાક યુઝર્સે આ આઉટફિટને ‘ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા’ના ઉલ્લંઘન સાથે જોડીને રાષ્ટ્રીય ધ્વજના અપમાનનો આક્ષેપ કર્યો હતો. કેટલાક લોકોએ આ મામલે કાર્યવાહી કરવાની માંગ સાથે ગૃહ મંત્રાલયને પણ ટેગ કર્યું હતું.
વિવાદ વધ્યા બાદ ઉર્વશી રૌતેલાએ પોતાની ચુપ્પી તોડી અને આ ગાઉન અંગે સ્પષ્ટતા કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે આ ગાઉન રાષ્ટ્રીય ધ્વજની કોપી નથી, પરંતુ તિરંગાથી પ્રેરિત કોચર ડિઝાઇન છે. તેના અનુસાર, ભારત પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રીયતાની ભાવનાને કલાત્મક રીતે રજૂ કરવાના હેતુથી આ આઉટફિટ તૈયાર કરવામાં આવ્યો હતો.
ઉર્વશીએ વધુમાં જણાવ્યું કે ડિઝાઇન તૈયાર કરતી વખતે રાષ્ટ્રીય ધ્વજની સીધી નકલ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગાઉનમાં ધ્વજના પરંપરાગત હોરિઝોન્ટલ પટ્ટાઓને બદલે વર્ટિકલ પટ્ટાઓ રાખવામાં આવ્યા હતા. તેમજ કેસરી અને લીલા રંગના શેડ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
ગાઉનમાં રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં આવેલા અશોક ચક્રની જગ્યાએ જ્વેલરી મોટિફનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉર્વશીના જણાવ્યા મુજબ, આ તમામ ફેરફારો જાણી જોઈને કરવામાં આવ્યા હતા જેથી આઉટફિટ રાષ્ટ્રીય ધ્વજની આબેહૂબ નકલ ન બને.
ઉર્વશીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “આ ગાઉન રાષ્ટ્રીય ધ્વજની કોપી નથી, પરંતુ તિરંગાથી પ્રેરિત ડિઝાઇન છે. મેં મારી રાષ્ટ્રીયતાને કલાત્મક રીતે રજૂ કરી છે.”
હાલ આ મામલે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો ઉર્વશીની દેશભક્તિની ભાવનાને સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ હજુ પણ આ પ્રકારની ડિઝાઇન અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.







