કાઠમંડુ (નેપાળ): નેપાળ-તિબેટ સરહદ નજીક ભોટેકોશી નદીમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશકારી પૂરે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં પૂર અને સંબંધિત દુર્ઘટનાઓમાં 797થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 3 હજારથી વધુ લોકો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન નેપાળના મધ્ય ભાગમાં રવિવારે સવારે ત્રિશૂલી નદીમાં ફરી પૂર આવ્યું, જેના કારણે બચાવ અને રાહત કામગીરી વધુ મુશ્કેલ બની છે. પૂરના પાણીમાં ગંડકી પ્રાંતના ગોરખા જિલ્લામાં આવેલો એક સસ્પેન્શન બ્રિજ (ઝુલતો પુલ) પણ તણાઈ ગયો હતો.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, પૂરનો પ્રવાહ લગભગ ત્રણ કલાક સુધી રહ્યો હતો. ફરી પૂર આવતાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસો સામે નવા પડકારો ઊભા થયા છે.
13 હજારથી વધુ સુરક્ષા જવાનો બચાવ કામગીરીમાં
નેપાળમાં હાલ મોટા પાયે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસના 13 હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા છે.
ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા ઉપરાંત ભોજન, દવાઓ અને અન્ય જરૂરી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. દુર્ગમ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા માટે હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી રહી છે.
નેપાળમાં વિનાશકારી પૂર બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને હજારો લોકોના ગુમ હોવાના કારણે ચિંતા વધુ ઘેરી બની છે.





