પેટલાદ : આણંદ જિલ્લાના પેટલાદ 1/2 ઘટક હેઠળ આવેલા જોષીની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને આધુનિક અને ડિજિટલ શિક્ષણ મળી રહે તે હેતુથી 05 સ્માર્ટ ટીવી ભેટ આપવામાં આવ્યા હતા. સ્માર્ટ ટીવીનું લોકાર્પણ પેટલાદ નગરપાલિકાના પ્રમુખશ્રી કોકીલાબેન તળપદાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ સુવિધા નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના પ્રયત્નોથી શક્ય બની હોવાનું જણાવાયું હતું. બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ Humankind NGO તથા વિદ્યાનગર સ્થિત ROTOMAG ENERTEC LTD દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રો માટે કુલ 05 સ્માર્ટ ટીવી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે.
આ પ્રસંગે પેટલાદ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી મનીષભાઈ શાહ તેમજ વિવિધ વોર્ડના કાઉન્સિલર સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રમુખશ્રી સહિતના મહાનુભાવોએ આંગણવાડીના નાના ભૂલકાંઓ સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ દાતા સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આંગણવાડી કેન્દ્ર ખાતે 05 સ્માર્ટ ટીવીની સુવિધા ઉપલબ્ધ થતાં હવે બાળકોને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા રમત-ગમત સાથે શિક્ષણ આપવાનું વધુ સરળ બનશે. ડિજિટલ માધ્યમથી બાળકોમાં શૈક્ષણિક રસ વધારવા તેમજ તેમના સર્વાંગી વિકાસમાં આ સુવિધા ઉપયોગી સાબિત થશે.





