ખંભાત: ખંભાત તાલુકાના કલમસર વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત ગેસ છોડવામાં આવ્યો હોવાના આક્ષેપને લઈને ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં ખંભાત પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કલમસર ખાતે આવેલી રોહન ડાઈસ, જય કેમિકલ (ખારાવાલા) અને પ્રિઝમ કેમિકલ સહિતની કંપનીઓમાંથી કેમિકલયુક્ત ગેસ છોડવામાં આવ્યો હોવાના કારણે કલમસર ગામની આશરે 200 વીઘા જમીનમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કેમિકલયુક્ત ગેસના કારણે સીમ વિસ્તારમાં રહેતા કેટલાક ખેડૂતો અને સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખેડૂતોને થયેલા પાકના નુકસાન અંગે GPCB તથા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ કંપનીઓ દ્વારા મંજૂરીની શરતોનો ભંગ થયો હોય તો તેની તપાસ કરી જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ભરતસિંહ સોલંકીએ વટાદરા તથા વત્રા ગામના સીમ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહેવાસીઓની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ અને રજૂઆતો પણ સાંભળી હતી.સ્થાનિક ખેડૂતો દ્વારા પાકના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન, વળતર અને પર્યાવરણને નુકસાન અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.





