મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ
બનાસકાંઠા: શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૨૦થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહામેળાના સુચારુ આયોજન અને સંચાલન માટે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી તથા નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહામેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મહામેળાના આયોજન માટે ૨૮ સમિતિઓની રચના
ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન વ્યવસ્થાઓ સુચારુ રીતે જળવાઈ રહે અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે જિલ્લા કક્ષાએ ૨૮ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ દ્વારા મેળાની વિવિધ વ્યવસ્થાઓ પર દેખરેખ રાખવામાં આવશે.
શ્રદ્ધાળુઓની સુવિધા પર ખાસ ભાર
સમીક્ષા બેઠક દરમિયાન પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને માઈભક્તો અંબાજી પહોંચે છે. ત્યારે શ્રદ્ધાળુઓને દર્શન સહિતની તમામ વ્યવસ્થાઓમાં કોઈ અગવડ ન પડે તે તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.
આ ઉપરાંત બેઠકમાં એસ.ટી. બસ સેવા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, મંદિરમાં સુગમ દર્શન, સુરક્ષા અને સલામતી સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મંત્રીએ તમામ સંબંધિત અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરી મહામેળામાં આવતા શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આગામી ભાદરવી પૂનમ મહામેળાને ધ્યાનમાં રાખીને અંબાજીમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.





