ખેડા: ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ખેડા તાલુકામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘હર ઘર તિરંગા’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. બંને યાત્રામાં મળીને અંદાજે ૧,૮૫૦થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રબળ બનાવવાના હેતુથી ખેડા તાલુકાના હરિયાળા ગામ તેમજ ખેડા નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. યાત્રામાં નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
બે સ્થળેથી નીકળી તિરંગા યાત્રા
ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળા ગામથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. જ્યારે શહેરી વિસ્તારમાં એચ. એન્ડી. પારેખ હાઈસ્કૂલથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી યાત્રા યોજાઈ હતી. બંને યાત્રાનો રૂટ અંદાજે ૨ કિલોમીટરનો રહ્યો હતો.શહેરી વિસ્તારની યાત્રામાં અંદાજે ૧,૦૫૦ લોકો, જ્યારે તાલુકા વિસ્તારની યાત્રામાં આશરે ૮૦૦ લોકો જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી સમગ્ર યાત્રા દરમિયાન વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આગેવાનો અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
તિરંગા યાત્રામાં મહેમદવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતીકભાઈ પટેલ, ખેડા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન, તાલુકા અગ્રણી પ્રમુખ શ્રી હેમેંદ્રસિંહ જાદવ, શ્રી કિશોરસિંહ તથા જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી શ્રી શંભુજી બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ખેડાના નાયબ કલેક્ટર શ્રી સુરજ બારોટ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. રાઠોડ, મામલતદાર શ્રી આદિત્ય ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉમેદ સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. દેસાઈ, ચીફ ઓફિસર શ્રીમતી બીજલબેન પટેલ સહિત તાલુકા સંકલનના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ અને નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારી
તિરંગા યાત્રામાં લાયન્સ ક્લબ ખેડાના સભ્યો, ખેડા પેન્શનર મંડળના સભ્યો, હરિયાળા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ, એચ. એન્ડી. પારેખ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, તાલુકા સંગઠનના હોદ્દેદારો અને સભ્યો તેમજ વિવિધ શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલી આ તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. તિરંગાની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ યાત્રાએ ખેડા તાલુકામાં દેશભક્તિનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું.





