પેટલાદ : પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક પરિવારોના મકાનોને નુકસાન પહોંચ્યું હતું. વરસાદી હોનારતથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે હેતુથી નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ તેમને મકાન સહાયના ચેક અર્પણ કર્યા હતા.
પેટલાદના વિવિધ વિસ્તારોના કુલ ચાર અરજદારોને નિયમોનુસાર કુલ રૂ. 3.10 લાખની સહાયના ચેક સોંપવામાં આવ્યા હતા. જેમાં નારીયાપાડા વિસ્તારના કિરીટભાઈ નવનીતલાલ શાહને રૂ. 65,000, જવાહર શેરીના ભગવાનદાસ સાંકળચંદ કંસારાને રૂ. 65,000, દેવકુવા ભાગોળ વિસ્તારના પૂજાભાઈ બાપુભાઈ તળપદા અને જયંતીભાઈ ડાહ્યાભાઈ તળપદાને સંયુક્ત રીતે રૂ. 90,000, તેમજ કલાલ પીપળ-કુંભારવાડા વિસ્તારના મોતીભાઈ રામભાઈના વારસદાર અશોકભાઈ જેઠાભાઈ જાદવને રૂ. 90,000ની મકાન સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તા. 31 જુલાઈ 2026 અને 2 ઓગસ્ટ 2026ના રોજ પડેલા અતિભારે વરસાદના કારણે પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. વહીવટી તંત્ર દ્વારા નુકસાનની તાત્કાલિક નોંધ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ટૂંકા સમયગાળામાં જ પાત્ર અસરગ્રસ્તોને સહાયના ચેક આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પેટલાદના પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, મામલતદારશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નગરપાલિકાના સભ્યો સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરકારની તાત્કાલિક કાર્યવાહીથી વરસાદી હોનારતમાં નુકસાન ભોગવનારા પરિવારોને આર્થિક રાહત મળી છે.





