ભાવનગર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં શંકાસ્પદ ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂના સેવન બાદ 7 લોકોનાં મોત થયાની ઘટનાએ સમગ્ર તંત્રને દોડતું કરી દીધું છે. ઘટનાની તપાસ દરમિયાન નકલી દારૂ બનાવવાના કથિત નેટવર્ક અંગે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે આ મામલે દારૂના નેટવર્ક સાથે જોડાયેલા 21 લોકો સામે FIR નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં જ બન્યો હોવાની માહિતી
તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો મુજબ મુખ્ય આરોપી તરીકે ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઈશનું નામ સામે આવ્યું છે. કથિત રીતે નકલી દારૂ ભાવનગરમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો. નકલી દારૂ બનાવવા માટે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી લોકો આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.મધ્ય પ્રદેશથી આવેલા નરેન્દ્ર યાદવ ઉર્ફે ‘ડોક્ટર’એ નકલી દારૂ બનાવવાની કથિત ફોર્મ્યુલા આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ફોર્મ્યુલા મુજબ સારસ, અમન અને ગણેશે નકલી દારૂ તૈયાર કર્યો હોવાની માહિતી છે.
અમદાવાદથી બોટલ, લિક્વિડ અને સ્ટીકર લાવ્યાનો ખુલાસો
તપાસ મુજબ ગૌતમ સોલંકી અને રઈશ અમદાવાદથી નકલી દારૂ બનાવવા માટે જરૂરી સામગ્રી લાવતા હતા. સરખેજ વિસ્તારમાંથી લિક્વિડ, બોટલ, ઢાંકણ તેમજ ‘રોયલ સ્ટેગ’ના સ્ટીકર લાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.મેથેનોલ પણ સરખેજમાંથી ખરીદવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે દારૂમાં ખરેખર કયું કેમિકલ કે અન્ય દ્રવ્ય ભેળવવામાં આવ્યું હતું તે અંગેનો અંતિમ ખુલાસો FSL રિપોર્ટ બાદ જ થઈ શકશે.
નકલી દારૂની ફોર્મ્યુલા આપનાર નરેન્દ્ર યાદવનું પણ મોત
આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નકલી દારૂ બનાવવાની કથિત ફોર્મ્યુલા આપનાર નરેન્દ્ર યાદવનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. નરેન્દ્ર યાદવનું મોત કયા સંજોગોમાં થયું અને શું તેનું મોત પણ નકલી દારૂના સેવન સાથે સંકળાયેલું છે તે અંગે તપાસ ચાલી રહી છે.
ખરકડી સુધી કેવી રીતે પહોંચ્યો નકલી દારૂ?
તપાસમાં સામે આવેલી માહિતી મુજબ ખરકડીમાં કેટલાક યુવકોએ ધર્મેન્દ્રસિંહ ગોહિલ પાસેથી દારૂ મેળવ્યો હતો. ધર્મેન્દ્રસિંહે આ દારૂ નાના ખોખરાના અર્જુનસિંહ પાસેથી લીધો હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્યારબાદ અર્જુનસિંહે આ દારૂ પારસ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાની માહિતી સામે આવી છે.પારસે ગૌતમ સોલંકી સાથે મળીને કથિત રીતે નકલી દારૂ તૈયાર કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ રીતે નકલી દારૂનું કથિત નેટવર્ક ગામડાં સુધી પહોંચ્યું હોવાની આશંકા છે.
250 જેટલી બોટલ તૈયાર કરવામાં આવી હોવાની માહિતી
પોલીસ તપાસમાં આશરે 250 બોટલ જેટલો નકલી દારૂ તૈયાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જેમાંથી મોટાભાગનો જથ્થો પોલીસે કબજે કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તૈયાર કરાયેલા નકલી દારૂની બોટલોમાં જાણીતી બ્રાન્ડના સ્ટીકર લગાવવામાં આવ્યા હોવાની પણ માહિતી છે.દારૂમાં કયું ઝેરી કેમિકલ ભેળવવામાં આવ્યું હતું તે જાણવા માટે નમૂનાઓ FSLમાં મોકલવામાં આવ્યા છે. FSL રિપોર્ટ બાદ ઘટનાના કારણ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
તંત્ર અને પોલીસ એલર્ટ
ઘટના બાદ જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સરકારી હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા તેમજ જરૂરી દવાઓના જથ્થાની સમીક્ષા કરવામાં આવી છે.પોલીસ દ્વારા શંકાસ્પદ બોટલમાંથી દારૂનું સેવન કરનાર લોકોને કોઈ લક્ષણોની રાહ જોયા વિના તાત્કાલિક હોસ્પિટલમાં તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી છે.
દારૂબંધી વચ્ચે મોટો સવાલ
ભાવનગરના ખરકડીની આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો નકલી દારૂ ખરેખર ભાવનગરમાં જ તૈયાર થયો હોય અને અમદાવાદથી તેની સામગ્રી પહોંચતી હોય, તો આ સમગ્ર કથિત નેટવર્ક કેટલા સમયથી સક્રિય હતું અને તેની પાછળ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે હવે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.પોલીસ તપાસમાં હવે 250 જેટલી બોટલનો જથ્થો ક્યાં-ક્યાં પહોંચ્યો હતો, કોને વેચાયો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલું છે તેની વિગતો બહાર આવવાની શક્યતા છે.





