અમદાવાદના ચર્ચિત ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ વધુ વધી છે. ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી છે. જેમાં તેના પર લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ હવે તથ્ય પટેલ સામે ગંભીર કલમ યથાવત રહેશે અને દોષી ઠેરવાય તો તેને મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે.
નોંધનીય છે કે, હાઇકોર્ટે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મોટો રાહતભર્યો નિર્ણય આપ્યો છે. પ્રજ્ઞેશ પટેલે પણ પોતાની વિરુદ્ધ લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી લીધી છે. આ નિર્ણય બાદ હવે પ્રજ્ઞેશ પટેલ પરની ગંભીર કલમ દૂર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કેસ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત પછી તથ્ય પટેલ પર ગંભીર આરોપો મૂકાયા હતા.






