ગુજરાતના મતદારો માટે SIR ફોર્મ ભરવા અંગે એક રાહતના સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયાની સમયમર્યાદા એક અઠવાડિયા માટે વધારી દીધી છે. હવે ગુજરાતના લોકો 11 ડિસેમ્બર, 2025 સુધી SIR ફોર્મ ભરી શકશે. ચૂંટણી પંચના નવા શિડ્યુલ મુજબ હવે ગણતરી, બૂથનું પુનર્ગઠન અને ડ્રાફ્ટ રોલ પ્રકાશિત કરવા અને દાવા – વાંધા તમામ સુધારેલી તારીખો અનુસાર કરવામાં આવશે.
એસઆઈઆર પ્રક્રિયા હાલમાં ઉત્તર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પોડુંચેરી, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે. નોંધાયેલા મતદારો પાસે હવે તેમના ગણતરી ફોર્મ ભરવા અને બુથ લેવલ અધિકારી (BLO) પાસે સબમિટ કરવા માટે વધુ એક અઠવાડિયાનો સમય હશે. જે પછી તેમને ચૂંટણી પંચના ECINet પોર્ટલ પર અપલોડ કરશે. ડ્રાફ્ટ રોલ હવે 9 ડિસેમ્બરને બદલે 16 ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. 11 ડિસેમ્બર સુધીમાં ફોર્મ સબમિટ કરનારા તમામ લોકોને ડ્રાફ્ટ રોલમાં શામેલ કરવામાં આવશે. અંતિમ રોલ હવે 7 ફેબ્રુઆરીને બદલે 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
ચૂંટણી પંચે પોતાના પત્રમાં શું લખ્યું છે?
ચૂંટણી પંચે રવિવારે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે 27 ઓક્ટોબરે આપવામાં આવેલી સૂચનાઓની જગ્યાએ નવા શેડ્યૂલ અમલમાં આવશે. ચૂંટણી પંચે આ ફેરફારનું કારણ આપ્યું નથી. ચૂંટણી પંચે શનિવારે એક અખબારી યાદીમાં કહ્યું હતું કે 51 કરોડ મતદારો માટે 99.53 ટકા મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે અને તેમાંથી 78.97 ટકા ડિજિટાઇઝ્ડ થઈ ગયા છે.
કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ ચૂંટણી પંચના આ પગલાને આવકાર્યું છે. “એસઆઈઆરને એક અઠવાડિયા સુધી લંબાવવાનો અર્થ એ છે કે ચૂંટણી પંચને ખ્યાલ છે કે આ પ્રક્રિયા આટલા ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ શકશે નહીં.”






