નાણા રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ તથા પૂજ્ય મહંત મસ્ત બાલુરામજી મહારાજના હસ્તે લોકાર્પણ
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે આવેલા જોગણ શાહપુર પાટિયા ખાતે ગ્રામજનોની સુવિધા માટે અંદાજિત રૂ. 5 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ નાણા રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તથા પૂજ્ય મહંત શ્રી મસ્ત બાલુરામજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાણા રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી જરૂરી સુવિધાઓ પહોંચાડવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ વિકાસના કામો હાથ ધરવા માટે સંપૂર્ણપણે સંકલ્પબદ્ધ છે. ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો વિસ્તાર કરવો એ સરકારની પ્રાથમિકતા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાજનોની સુખાકારી અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં પણ જનહિતના કામો સતત ચાલુ રહેશે. નવનિર્મિત બસ સ્ટેન્ડ કાર્યરત થવાથી જોગણ તથા આસપાસના વિસ્તારોના મુસાફરો અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળશે અને તેમના રોજિંદા આવાગમનમાં સરળતા રહેશે.
આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત
લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કાર્યકારી પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન, પેટલાદ તાલુકાના અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી જગદીશભાઈ વણકર, તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઈ પટેલ તથા શ્રી દિનેશભાઈ ઠાકોર, સરપંચશ્રી, પંચાયતના સભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





