આણંદ : પેટલાદ તાલુકાના શાહપુર અને પાળજ ગામ ખાતે તાજેતરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા પરિવારો તેમજ દૂધ મંડળીની અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને રૂ. ૧૨.૯૮ લાખથી વધુની સહાય આપવામાં આવી હતી.મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને રૂબરૂ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ધર્મિષ્ઠાબેન સોમાભાઈ વાઘરીને રૂ. ૨,૧૨,૫૦૦, શાહપુરના જશભાઈ રણછોડભાઈ ઠાકોરને રૂ. ૯૦,૦૦૦, શાહપુરના રજનીભાઈ ગોરધનભાઈ પટેલને રૂ. ૯૦,૦૦૦ તથા પાળજ ગામના મણીબેન મંગળભાઈ તળપદાને રૂ. ૧,૮૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી હતી.
આ ઉપરાંત પેટલાદ તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા અન્ય પરિવારોને મકાન નુકસાની તથા ઘરવખરી સહાય પેટે કુલ રૂ. ૭,૨૬,૦૦૦ની રકમના ચેકોનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે સરકારે અસરગ્રસ્ત પરિવારો સુધી ત્વરિત રાહત અને આર્થિક સહાય પહોંચાડી હતી.
વૃદ્ધ મણીબેનના આશીર્વાદથી ભાવુક બન્યા મંત્રીશ્રી
સહાયનો ચેક સ્વીકારતી વખતે પાળજ ગામના વૃદ્ધ મણીબેન તળપદાએ આત્મીયતા અને લાગણીસભર રીતે સરકારનો આભાર વ્યક્ત કરી મંત્રીશ્રીને આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગને યાદ કરતાં નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “વૃદ્ધ મણીબેન દ્વારા મળેલા આશીર્વાદ એ માત્ર મારા માટે જ નહીં, પરંતુ સમગ્ર સરકાર માટે અત્યંત પ્રેરણાદાયી અને ભાવુક ક્ષણ હતી. નાગરિકોની સેવા કરવાના અમારા સંકલ્પને આ પ્રસંગે વધુ મજબૂતી મળી છે.”
મુશ્કેલીના સમયમાં સરકાર પ્રજાની પડખે
આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિ કે મુશ્કેલીના સંજોગોમાં પ્રજાની રક્ષા, રાહત અને પુનઃવસન માટે રાજ્ય સરકાર હંમેશાં પ્રથમ હરોળમાં ઊભી રહે છે.તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારની સંવેદનશીલ નીતિઓ અને ઝડપી પ્રશાસનિક કામગીરીના પરિણામે છેવાડાના માનવી સુધી સમયસર આર્થિક સહાય પહોંચાડવામાં આવી રહી છે. કોઈપણ આપત્તિના સમયે નાગરિકોની પડખે અડીખમ ઊભી રહેતી રાજ્ય સરકારે અસરગ્રસ્ત પરિવારોને ત્વરિત રાહત પહોંચાડી લોકાભિમુખ શાસનની મિસાલ પૂરી કરી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





