મહુધા: મહુધા ચોકડી ખાતે બે વાહનચાલકો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કારચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં રોડ પરના દબાણને લઈને બંને વાહનચાલકો વચ્ચે તકરાર ઊભી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મહુધા વિસ્તારમાં રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી
માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત વિભાગના વિવિધ રસ્તાઓના RoW (Right of Way) મુજબ રાજ્ય માર્ગો અને પંચાયત માર્ગો પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર કામગીરી માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી છે.
અંદાજે 50 દબાણો હોવાનો અંદાજ
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ, રસ્તાની આકારણી દરમિયાન અંદાજે 50 જેટલા દબાણો હોવાનું જણાયું છે.તેમાંથી 1 સપ્ટેમ્બર, 2026ના બપોર સુધીમાં 22 દબાણો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના દબાણો દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે.
તંત્ર દ્વારા રસ્તાની હદમાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરી માર્ગ વ્યવસ્થા સુચારૂ બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





