ખંભાત તાલુકાના કલમસર વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ કેમિકલ કંપનીઓમાંથી કથિત રીતે ઝેરી ગેસ છોડવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગેસની અસરથી વત્રા અને વટાદરા ગામ સહિતના વિસ્તારોમાં અંદાજે 500 વીઘા જેટલી જમીનમાં ઉભેલા ડાંગરના પાકને નુકસાન થયું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગેસની અસરથી ડાંગરના પાકના છોડ બળી જવા જેવી સ્થિતિમાં આવી ગયા છે. ઘટનાના પગલે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે અને નુકસાનનું યોગ્ય સર્વે કરી વળતર આપવાની માંગ ઉઠી છે.
250થી 300 જેટલા પક્ષીઓનાં મોત
ઝેરી ગેસની ઘટના વચ્ચે વિસ્તારમાં મોટી સંખ્યામાં પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે 250થી 300 જેટલા પક્ષીઓનાં મોત થયા છે.મૃત પક્ષીઓ અંગે સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ટીમ દ્વારા મૃત પક્ષીઓનો કબજો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃત પક્ષીઓને ખંભાત પશુ દવાખાને મોકલવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પક્ષીઓનાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમના નમૂનાઓ FSL ખાતે વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બાળકોને તકલીફો થઈ હોવાનો આક્ષેપ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગેસની અસરના કારણે કેટલાક બાળકોને ઉલટી, ગળામાં દુખાવો, ગભરામણ અને ધુમાડા જેવી તકલીફો થઈ હતી. જોકે, આ તકલીફોનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
GPCBની ટીમે સ્થળની મુલાકાત લીધી.
સમગ્ર ઘટનાની જાણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને થતાં અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે વત્રા અને વટાદરા ગામના અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ફોટોગ્રાફ્સ લીધા હતા.આ ઉપરાંત કલમસર વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને વિવિધ સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.હવે GPCB દ્વારા લેવામાં આવેલા સેમ્પલના પરીક્ષણ તેમજ મૃત પક્ષીઓના FSL રિપોર્ટ બાદ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ સામે આવવાની શક્યતા છે.ખેડૂતો દ્વારા થયેલા નુકસાનનો યોગ્ય સર્વે કરી વળતર આપવા અને સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે.





