અમદાવાદ: શહેરના સૌથી વ્યસ્ત એવા રેવડી બજાર સ્થિત દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
પ્રાપ્ત અહેવાલો અનુસાર સિંધી માર્કેટની 30 જેટલી દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રેવડી બજારમાં મોટાભાગની દુકાનો કાપડની હોવાથી દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ વધુ વિકરાળ બની જતાં લોકો દુકાનોમાંથી નુકશાન ઓછું થાય તે રીતે કાપડ સહિતની વસ્તુઓ ખાલી કરવા લાગ્યા હતા.
ફાયર બ્રિગેડની જણાવ્યું કે, આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બપોરે 12.30 વાગ્યાની આસપાસ દુકાનોમાં આગ લાગી હતી.પ્રાથમિક અહેવાલો અનુસાર શોર્ટ સર્કિટને લાગેલી આગ પ્રસરી જતાં ભયાનક બની હતી. આગમાં 1.50 કરોડનું નુકસાન થયું હોવાનો વેપારીઓનો અંદાજ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો છાપરા પર ચડીને પાણીનો મારો ચલાવ્યો હતો.





