પાકિસ્તાનના બલુચીસ્તાનમાં જે રીતે અલગતાવાદ આગળ વધી રહ્યો છે અને પાકિસ્તાન સૈન્ય અને પોલીસ સામે પણ બલુચ બળવાખોરો હુમલા કરી રહ્યા છે તે વચ્ચે આ પ્રદેશના નિર્વાસીત બલુચ નેતા મીર યાર બલોચે વિદેશમંત્રી એસ.જયશંકરને એક પત્ર લખીને બલુચીસ્તાનને આઝાદ કરાવવામાં ભારતની મદદ માંગી હતી.
તેઓએ પોતાના ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે, ભારત અને બલુચીસ્તાન વચ્ચે ઐતિહાસિક સંબંધો છે અને બલુચીસ્તાનના છ કરોડ લોકો ભારતના 140 કરોડ લોકો સામે આશાભરી નજરે જોવે છે. પોતાના પત્રમાં તેઓએ પાકિસ્તાનને જળથી ઉખાડી ફેંકવાની માંગણી કરી છે અને કહ્યું છે કે અમે બલુચીસ્તાનના લોકો પુરી રીતે ભારતની સાથે છીએ.
તેઓએ એ પણ જણાવ્યું કે, હિંગળાજ માતા મંદિર જેવા પવિત્ર સ્થળ પણ આપણી સંયુક્ત વિરાસતના પ્રતિક છે. તેઓએ ઓપરેશન સિંદુરની પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે બલુચીસ્તાન છેલ્લા 69 વર્ષથી પાકિસ્તાનના અત્યાચારનો શિકાર બની રહ્યું છે અને ભારતનો સાથ મળે તો તે પોતાની સ્વતંત્રતાની લડાઈ ચાલુ રહેશે. તેઓએ કહ્યું કે જો તેમ નહી થાય તો ચીન પોતાનું સૈન્ય અહી તૈનાત કરશે.






