ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ, મૃત્યુઆંક વધીને 21 થયો,

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતાં થયેલ જાનહાનીમાં 21 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પાંચ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. આ સમગ્ર પ્રકરણમાં કસુરવારોને ઝડપી લેવા માટે પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ગેરકાયદે ફટાકડા ફેક્ટરી માલિક દિપક મોહનાનીની ઈડરથી ધરપકડ કરાઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસાની ફટાકડા ફેક્ટરીની દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. સાથે મૃતકોના પરિવારજનોને PMNRFમાંથી 2 લાખ રુપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. બીજી તરફ ગેરકાયદે ફટાકડા ફેક્ટરી કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ ટીમમાં સી.એલ.સોલંકી (DySP ડીસા), વી.જી. પ્રજાપતિ (પીઆઇ, ડીસા રુરલ પોલીસ સ્ટેશન), એ.જી. રબારી (પીઆઇ, એસ.ઓ.જી. બનાસકાંઠા), એસ.બી.રાજગોર (PSI, LCB, બનાસકાંઠા) અને એન.વી. રહેવર (PSI, પેરોલ સ્ક્વોડ બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.

ડીસાના ઢુંવા રોડ ઉપર આવેલી ફટાકડા ગોડાઉનમાં આજે મંગળવારે વહેલી સવારે બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઇને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટના ઘટી ત્યારે અંદાજે બાળકો સહિત 20થી વધુ લોકો ઘટના સ્થળે હાજર હોવાની માહિતી સામે આવી રહી છે. કહેવાતા આ ગોડાઉનમાં વગર મંજૂરીએ ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હોવાની તેમજ બોઇલર ફાટ્યું હોવાની ચર્ચાઓ પણ ઉઠી હતી. જોકે એ સાચી હકીકત ન હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે.

મળતી માહિતી મુજબ આ ફટાકડા ગોડાઉનમાં કોઇ કારણોસર વિસ્ફોટ થયો હતો. જેને પગલે ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું, આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે અહીંની દિવાલ પણ ધરાશાયી થવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં બોઇલર હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જોકે બાદમાં પોલીસે આ મામલે ખુલાસો કર્યો હતો કે અહીં બોઇલર હોવાના પુરાવા નથી.

જિલ્લા કલેકટર મિહિર પટેલે આ ઘટના અંગે જણાવ્યું કે, પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી મુજબ દિપક ટ્રેડર્સ ના નામે છે. ફટાકડા સ્ટોરેજ માટે આ લાયસન્સ અપાયું હતું. જે 31 ડિસેમ્બરે પૂર્ણ થયું છે. એમણે અરજી કરી હતી. પરંતુ પુરતી વ્યવસ્થા ન હોવાથી લાયસન્સ અપાયું ન હતું. આમ છતાં આ શખ્સોએ ગેરકાયદેસર રીતે અહીં ફટાકડા સ્ટોરેજ કર્યા હોવાનું લાગે છે.

સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં આ ઘટના અંગે સરકારને જવાબદાર ઠેરવતાં કહ્યું કે, નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરુ છું. રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ. રાજ્ય સરકારે જો રાજકોટ બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે એએનઆઇ સાથે વાત કરતાં જણાવ્યું કે, આજે સવારે અંદાજે પોણા દસ વાગ્યાના અરસામાં ડીસાના ઢૂવામાં એક પ્રચંડ વિસ્ફોટ થયાના સમાચાર મળ્યા તો તરત જ ફાયર ફાઇટર ટીમને રવાના કરી એમણે આગને કાબુમાં લીધી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનો આરસીસી સ્લેબ તૂટી નીચે પડી ગયો હતો. નીચે કોઇ દટાયેલું છે કેમ એ માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    30 લાખની લાંચ કેસમાં અધિક સચિવ અને નિવૃત્ત ડિનની સંપત્તિ મુદ્દે તપાસ હાથ ધરાઈ

    ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બુધવારે જણાવ્યું હતું કે તેમણે આરોગ્ય વિભાગના બે ગેઝેટેડ અધિકારીઓ, એક સેવારત અને બીજો નિવૃત્ત સામે 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *