
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની છે. જોકે, હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા. આ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા લઈને ન જવાના મુદ્દે દેવાયત ખવડે વીડિયો બનાવીને સ્પષ્ટતા કરી છે.
સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરોનું આયોજન કરાયું હતું. પરંતું દેવાયત ખવડ ડાયરા સમયે હાજર રહ્યા ન હતા. બીજી તરફ, દેવાયત ખવડ આણંદ સોજીત્રા ખાતે ડાયરામાં પહોંચ્યા હતા. જેથી ડાયરામા હાજર નહીં રહેતા હુમલો થયાનું અનુમાન છે. દેવાયત ખવડે એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા. તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ બીજા કાર્યક્રમમાં કોઈ કારણોસર હાજર રહ્યા નહોતા. આ ગેરહાજરીને કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી ફેલાઈ હતી, જે બાદમાં બબાલમાં પરિણમી હતી.
દેવાયત ખવડ કાર્યક્રમ અંગે સ્પષ્ટતા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં દેવાયત ખવડે કહ્યું કે, હાલ એવી ચર્ચા થઈ રહી છે કે, દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી આપી અને બીજામાં હાજરી ન આપી. હવે આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. કારણ કે, આ વાત તદ્દન ખોટી છે. જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલમાં તમે આયોજકના સીસીટીવી ચેક કરો. મેં પહેલાં 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં હાજરી આપી હતી અને બાદમાં આયોજકની રજા લઈને હું પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો.
દેવાયત ખવડે દાવો કર્યો કે, ‘મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધા આયોજક પાસેથી પાસેથી. આ પહેલાં પણ બે મહિના પહેલાં તેમના ભત્રીજાના લગ્નમાં પૈસા વિના ડાયરો કર્યો છે સંબંધના કારણે. આ ફિલ્ડમાં મને પણ એટલી ખબર પડે છે કે, ડાયરો લીધા પછી ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં. હું એટલાં માટે સ્પષ્ટ કરૂ છું કે, એકપણ પૈસો લીધા વિના મેં સંબંધને લઈને ડાયરામાં હાજરી આપી હતી. છતાં જો કોઈને એવું થતું હોય કે, હાજરી નથી આપી તો તેમના ફાર્મ હાઉસના સીસીટીવી ચેક કરો. જેમાં 8 થી 9:30 ની મારી હાજરી છે અને આયોજકની રજા લીધા બાદ જ હું પીપળજ પ્રોગ્રામમાં જવા નીકળ્યો છું.