
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર દેશના પ્રથમ ખાનગી ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ કરાયો છે. જેથી એરપોર્ટ પર મુસાફરોને બજેટ-ફ્રેન્ડલી અને સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુના હસ્તે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર દેશના આ પ્રથમ ખાનગી ‘ઉડાન યાત્રી કાફે’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાફે દેશના એરપોર્ટ પરનું પ્રથમ ખાનગી કાફે છે.
આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ કહ્યુ કે, મુસાફરોને પોકેટ-ફ્રેન્ડલી દરે સારી ગુણવત્તાયુક્ત ભોજન પ્રદાન કરવા માટે એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આનાથી મુસાફરોના મુસાફરીના અનુભવમાં વધારો થશે એટલું જ નહીં પરંતુ દેશના આર્થિક વિકાસને પણ વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી ‘ઉડાન યાત્રી કાફે’ યોજના રેલ્વે સ્ટેશનો જેવા પોસાય તેવા ભાવે ચા, કોફી અને નાસ્તો જેવી આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડશે. આવનારા સમયમાં તબક્કાવાર દેશના વિવિધ એરપોર્ટ પર પણ ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં આ મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ટર્મિનલ ૧ના ચેક-ઇન હોલ સ્થિત ‘નવું ઉડાન યાત્રી કાફે મુસાફરોને ૧૦ રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે. ‘ઉડાન યાત્રી કાફે’નો ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા વાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. કાફેનો પ્રારંભ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. આ હવાઈ મુસાફરીમાં વધુ લોકો માટે એક વ્યવહારુ વિકલ્પની ખાતરી કરે છે.
ઉડાન યાત્રી કાફેના લોન્ચ સાથે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો હવે ઉડાનને વધુ સંતોષકારક બનાવવાના સરકારના મિશન સાથે વાજબી ભાવે ઉચ્ચ-ગુણવત્તાવાળા નાસ્તાનો આનંદ માણી શકે છે. આ પહેલ સસ્તી અને ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાના એરપોર્ટના પ્રયાસો દર્શાવે છે. તે મુસાફરોના સંતોષ અને સુવિધામાં નોંધપાત્ર વધારો કરે છે.આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, એવિએશન વિભાગના અધિકારીઓ – પદાધિકારીઓ તેમજ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણી ઉપસ્થિત રહ્યા હતા.