રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં કફ સિરપ અપાયા બાદ નવ માસુમ બાળકોનાં મોતનો મામલો ગંભીર વળાંક લેવા માંડયો છે. તામીલનાડુની ફાર્મા કંપનીમાં ઉત્પાદિત આ કફ સિરપમાં 48.6 ટકા ડાઈએથીલીન ગ્લાયકોલ જેવું જીવલેણ ઝેરી રસાયણ હોવાનો ખુલાસો થયો છે. જેને પગલે ગુજરાત સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે.
કોલ્ડ્રીફ નામક આ કફ સિરપનું ગુજરાતમાં વેંચાણ થાય છે કે કેમ તેનો રીપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. તામીલનાડુ તથા મધ્યપ્રદેશમાં આ કફ સિરપનાં વેચાણ પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે તામીલનાડુ સરકારે કફ સિરપનાં નમુના લઈને રીપોર્ટ કરતાં 48.6 ઝેરી રસાયણનું પ્રમાણ હોવાનું જાહેર થયુ છે. 9 બાળકોના મોત બાદ મધ્યપ્રદેશ સરકારના ચકાસણી રીપોર્ટમાં કાંઈ વાંધાજનક ન મળતા સરકાર સામે સવાલ ઉઠવા લાગ્યા છે. સરકારે જોકે, અંતિમ તપાસ રીપોર્ટ બાકી હોવાનું જાહેર કર્યું છે.
રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને કેન્દ્રની માર્ગદર્શિકા તથા રાજસ્થાનના રિપોર્ટનો અભ્યાસ કરવા સૂચના આપી છે. આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને રાજસ્થાનમાંથી આવેલા રિપોર્ટ્સનો સંપૂર્ણ અભ્યાસ કરવાની સૂચના આપી છે. આ અભ્યાસના આધારે ગુજરાતમાં વેચાતી કફ સિરપની ગુણવત્તા અને તેના વેચાણ પર સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
આ મામલે ઋષિકેશ પટેલે સમગ્ર મામલે વિસ્તૃત અને તાત્કાલિક રિપોર્ટ પણ માંગ્યો છે. આ તપાસ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ગુજરાતના બજારમાં કોઈ નબળી કે ઝેરી ગુણવત્તાની કફ સિરપનું વેચાણ ન થાય અને બાળકોના સ્વાસ્થ્યને જોખમ ન પહોંચે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં કફ સિરપ સંબંધિત એક ગંભીર ઘટના બની હતી. જ્યાં 9 બાળકોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ મધ્યપ્રદેશ સરકારે ‘ઈજ્ઞહમશિર’ કફ સિરપ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ લગાવી દીધો છે. ઘટનાની જાણ થતા જ છિંદવાડા વહીવટી તંત્રએ અગાઉ જ ‘Coldrif’ અને ‘Nextro-DS’ સિરપ પર જિલ્લા-વ્યાપી પ્રતિબંધ મૂકી દીધો હતો.
મધ્યપ્રદેશ સરકારે રાજ્ય સ્તરે એક વિશેષ તપાસ ટીમની રચના કરી કરી છે. આ ટીમ સિરપના વિતરણ, સપ્લાય ચેઇન અને સારવાર કરનાર તબીબોની ભૂમિકાની ઝીણવટભરી તપાસ કરશે. આ તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે અને સેમ્પલ તપાસમાં સહયોગ કરી રહી છે.
બે વર્ષથી નાના બાળકોને કફ સિરપ નહીં આપવા કેન્દ્રની સલાહઃ એડવાઈઝરી જારીપાંચ વર્ષ સુધીના બાળકોને કફ સિરપ આપવાનુ યોગ્ય ન હોવાનો નિર્દેશ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રતિબંધિત કફ સિરપના સેવનથી થયેલા બાળકોના મૃત્યુ બાદ, કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. સરકારે જણાવ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ અને શરદીમાં સિરપ આપવું જોઈએ નહીં. આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) એ બાળરોગના દર્દીઓમાં કફ સિરપના યોગ્ય ઉપયોગ અંગે એક એડવાઇઝરી જાહેર કરી છે.
બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાંસી અને શરદીની દવાઓ આપવી જોઈએ નહીં. સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તેમની ભલામણ કરવામાં આવતી નથી. કોઈપણ દવાનો ઉપયોગ કાળજીપૂર્વક ક્લિનિકલ મૂલ્યાંકન, નજીકથી દેખરેખ અને યોગ્ય માત્રાનું કડક પાલન, ન્યૂનતમ અસરકારક સમયગાળો અને બહુવિધ દવાઓના સંયોજનોથી દૂર રહેવા પર આધારિત હોવો જોઈએ. વધુમાં, લોકોને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલી દવાઓના પાલન વિશે પણ જાગૃત કરી શકાય છે,” સરકારે જણાવ્યું હતું.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રતિબંધિત કફ સિરપ પીવાથી કુલ 11 બાળકોના મોત થયા છે. આમાંથી, મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મૃત્યુઆંક નવ થયો છે. જો કે, પ્રારંભિક પરીક્ષણોમાં સિરપના નમૂનાઓમાં DEG અથવા EG ના કોઈ નિશાન મળ્યા નથી, જે કિડનીને અસર કરી શકે છે. પીડિયાટ્રિક્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને વડા ડો. પવન નંદુરકરે જણાવ્યું હતું કે, “તાજેતરમાં, અહેવાલો દર્શાવે છે કે સાત બાળકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ હવે એવું લાગે છે કે આ સંખ્યા નવ થઈ ગઈ છે.
મૃત્યુ અને કિડનીની ઇજાઓ કોલ્ડ્રિફ નામના કફ સિરપ સાથે જોડાયેલી છે, જેના પર દરેક વ્યક્તિ દોષી ઠેરવી રહી છે. જો કે, તપાસ હજી પણ ચાલુ છે, અને શક્ય છે કે કિડનીની ઇજાઓ કોઈ અન્ય કારણે થઈ હોય.” હાલમાં, પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થાય ત્યાં સુધી કોલ્ડ્રિફ અને નેસ્ટો DS કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.






