અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગી છીનવી લીધી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિતા અને પુત્રનું મોત થયું છે, જ્યારે માતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ઘટનાની વિગતો મુજબ, કૃષ્ણ નગરી સોસાયટીના મકાન નંબર 4માં જ્યારે આખો પરિવાર વહેલી સવારે ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ મિનિટોમાં આગની જ્વાળાઓએ આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ઘરમાં હાજર સભ્યો કંઈ સમજે તે પહેલાં જ ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટમાં આવી જતાં લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. (મૃતકો: ધ્રુવ ગોહિલ, 39 વર્ષ (પિતા),શાશ્વત ધ્રુવ ગોહિલ, 9 વર્ષ (પુત્ર), ઈજાગ્રસ્ત:મિત્તલ ગોહિલ, 35 વર્ષ (માતા), સ્થાનિકોએ આગ જોઈને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યુ કામગીરી દરમિયાન ટીમે ઘરની અંદર ફસાયેલા લોકોને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક દૃષ્ટિએ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્ય શું છે તે જાણવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટીના સાધનો અને જાગૃતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.





