
જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું છે. ભારે વરસાદ બાદ પુર અને ભૂસ્ખલનથી 3 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન બાદ શ્રીનગર હાઇવે બંધ કરી દેવાયો છે અને ભયંકર ટ્રાફિક જામ થયો છે.
જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ છે, અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતના સમાચાર છે. હાલ શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે, ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલુ છે. છેલ્લા 24 કલાકથી રામબનમાં ભારે વરસાદ પડી રહ્યો છે, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. ભૂસ્ખલનના કારણે મુશ્કેલીઓ પણ વધી છે.
ભારે વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે શ્રીનગર હાઈવે પર પથ્થરો પડી ગયા છે, ત્યાં ઘણો કાટમાળ છે, તેથી તેને બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે અચાનક બંધ થઈ જવાથી લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે, મુસાફરો રસ્તા વચ્ચે જ ફસાઈ ગયા છે. કેટલાક રિપોર્ટ મુજબ જો વરસાદ બંધ નહીં થાય તો પરિસ્થિતિ વણસી શકે છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર રામબનમાં જ બનિહાલ વિસ્તારમાં ઘણા સ્થળો પર ભૂસ્ખલન થયું છે. આ કારણે કિશ્તવાડ પદ્દર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
હાલ સોશિયલ મીડિયામાં ભૂસ્ખલનના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયોમાં પહાડ પરથી પથ્થર અને માટીનો કાટમાળ હાઇવે પર પડ્યો છે, ઘણા વાહનોને ભૂસ્ખલનથી નુકસાન થયું છે. ઘર અને હોટેલોને પણ વરસાદ બાદ ભૂરથી નુકસાન થયું છે. તમને જણાવી દઇયે કે, રામબન ફરવા માટે એક પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રામબન ફરવા આવે છે. આ દરમિયાન ભારે વરસાદ બાદ પુર અને ભૂસ્ખલનથી રામબન ફરવા આવેલા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રામબનના ડેપ્યુટી કમિશનર બસીર ઉલ હકે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સવારે 1.10 વાગ્યાની આસપાસ શરૂ થયેલો ભારે વરસાદ બપોર સુધી પણ ચાલુ રહ્યો હતો.હવામાન વિભાગ દ્વારા પ્રતિકૂળ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે પહેલાથી જ ચેતવણી આપી હતી. મંદિરો અને મસ્જિદોમાંથી લોકોને પરિસ્થિતિ વિશે ચેતવણી આપવા ઘોષણા કરવામાં આવી હતી.
ખરાબ હવામાનને કારણે જમ્મુ અને શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. શ્રીનગરની હવાઈ મુસાફરીમાં પણ વિક્ષેપ પડ્યો હોવાના અહેવાલ છે. વાદળ ફાટવાના કારણે અનેક રહેણાંક અને વાણિજ્યિક ઇમારતોને ભારે નુકસાન થયું હતું અને અનેક વાહનો કાદવમાં ડૂબી ગયા હતા.