
અમદાવાદમાં નવ લોકોનો ભોગ લેનારા ‘તથ્યકાંડ’ને લોકો હજુ ભુલી શકયા નથી ત્યાં આજે ગાંધીનગરમાં પુરપાટ જતા કારચાલકો લોકો-વાહનોને ઉડાવતા ચાર લોકોના મોત નિપજયા હતા અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ભોગ બનેલા લોકોમાં એક ગોંડલના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે.
આ અકસ્માત બાદ લોકોએ કારચાલકને મારઝુડ કરી હતી અને પછી પોલીસે પહોંચીને ધરપકડ કરી હતી. રાજયના પાટનગર ગાંધીનગરમાં રાંદેસણા પાસે સીટી પ્લસ સિનેમા સામે આજે સવારે પુરપાટ ઝડપે પસાર થતી કારે રાહદારીઓ તથા વાહનોને ઠોકરે ચડાવ્યા હતા.
અચાનક જ ધડાકા સાથે GJ18 CC 7887 નંબરની કાર વાહનો-રાહદારીઓને ઝપટે ચડાવવા લાગતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા હતા. અન્ય બે હોસ્પીટલ પહોંચે તે પુર્વે મોતને ભેટયા હતા. અંદાજીત પાંચ લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.અકસ્માત સર્જનાર કાર ચાલક હિતેશ વિનુભાઈ પટેલ હોવાનું બહાર આવ્યુ છે અને તેના નામે જ કારનુ રજીસ્ટ્રેશન હોવાનું ખુલ્યુ છે. અકસ્માત વખતે તે ચિકકાર નશામાં હોવાનું પણ કહેવાતુ હતું. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારચાલકને બહાર કાઢીને મારઝુડ કરી હતી.
અકસ્માતમાં ગોંડલમાં રહેતા નીતીનભાઈ પ્રતાપભાઈ વસા (ઉ.વ.63)નો સમાવેશ થાય છે. આ સિવાય હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉ.વ.56) નામની મહિલાનો પણ ભોગ લેવાયો હતો.
અન્યોની ઓળખ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. આ સિવાય કામીનીબેન બીપીન ઓઝા (ઉ.વ.65), બીપીનભાઈ ઓઝા (ઉ.વ.75) તથા મયુરભાઈ જોષી (ઉ.વ.65) ઘાયલ થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કારચાલકની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફુટેજ તથા સ્થાનિકોના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.